જંબુસરમાં ગણેશ વિસર્જન દરમિયાન ડીજેના તાલે નાચતા ભક્તોમાં એક અચાનક બેકાબૂ બનેલી ગાય ઘૂસી જતાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાને કારણે ગણપતિની વિદાય યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસ ઊભેલા લોકો અને ભક્તોમાં ગભરાહટ ફેલાયો હતો અને લોકોએ સલામત જગ્યા શોધવા દોડધામ શરૂ કરી દીધી હતી. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમયસૂચકતા વાપરીને બેકાબૂ બનેલી ગાયને કાબૂમાં લીધી હતી. આ કામગીરીને કારણે મોટો અનિષ્ટ થતાં અટક્યો હતો.

ડીજેના તાલે નાચતા ભક્તોમાં મચી નાસભાગ 

પોલીસે અફરાતફરી પર કાબૂ મેળવ્યો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. પોલીસની આ કામગીરીને હાજર લોકોએ બિરદાવી હતી. જોકે આ ઘટનાએ ફરી એકવાર જંબુસર શહેરમાં રખડતા પશુઓના ત્રાસનો મુદ્દો ઉઠાવ્યો છે. શહેરના લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે રખડતા પશુઓને કારણે શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ બને છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે નગરપાલિકા તંત્ર કોઈ નક્કર પગલાં લેતું નથી.

 ભક્તોના બચાવમાં જંબુસર પોલીસની શરાહનિય કામગીરી

લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે નગરપાલિકા તંત્ર કોના દબાણ હેઠળ છે જેના કારણે આ સમસ્યાનું નિવારણ લાવી શકાતું નથી. આ ઘટના દર્શાવે છે કે શહેરમાં રખડતા પશુઓની સમસ્યા એક ગંભીર મુદ્દો છે અને તેના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. જેથી આવા જાહેર કાર્યક્રમોમાં લોકોની સલામતી જાળવી શકાય. આ માટે નગરપાલિકાએ રખડતા પશુઓને પકડવાની અને તેમને યોગ્ય આશ્રયસ્થાનમાં રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે.