જામનગરમાં યુ.કે.માં સ્થાયી થયેલા એક બિન-નિવાસી ભારતીય (NRI)ની કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવાનું મોટું કાવતરું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને કોર્ટે વધુ તપાસ માટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૂળ જામનગરના વતની અને હાલ યુ.કે.માં વ્યવસાય કરતા અમિત દામજીભાઈ શાહની જામનગર પંથકમાં આશરે ૯ વીઘા ખેતીની કિંમતી જમીન આવેલી છે. અમિતભાઈ સમયાંતરે ભારત આવીને પોતાની જમીનનું નિરીક્ષણ કરતા હતા.
જામનગરમાં NRIની જમીન પચાવી પાડવાનો મામલો
આ દરમિયાન, તેમને જાણ થઈ કે તેમની માલિકીની જમીનના વેચાણ દસ્તાવેજો જામનગર પંથકમાં ફરી રહ્યા છે. તપાસ કરતાં સામે આવ્યું કે મુંબઈના એક શખ્સે અમિતભાઈ શાહનો ખોટો દસ્તાવેજ બનાવી લીધો હતો. આ દસ્તાવેજોને જામનગરની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તેની નોંધણી પણ કરાવી દેવામાં આવી હતી. પોતાની જમીન પચાવી પાડવાના આ ષડયંત્રની જાણ થતાં, NRI અમિતભાઈ શાહે આ બનાવટી દસ્તાવેજો બનાવનાર અને તેમાં સંડોવાયેલા ચારેય શખ્સો સામે સિક્કા પોલીસ મથકમાં કાવતરું અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.










