ગુજરાતના જૂનાગઢના ચોરવાડ ગામના જવાન શહીદ થયો. ચોરવાડ ગામના આ યુવાન સહિત અન્ય યુવાનો લેહમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન લેહમાં બરફના વાવાઝોડાએ અગ્નિવીર જવાનોને પોતાની લપેટમાં લીધા. અને લેહના બરફના તોફાનમાં જૂનાગઢના યુવાન સહિત અન્ય બે યુવાનો શહીદ થયા. બરફનું તોફાન અગ્નિવીર યુવાનો માટે કાળ બન્યું. દુશ્મનોને ડરાવનાર આ યુવાનો કુદરતના કહેરનો શિકાર થયા. 3 યુવાનોના મોતને પગલે તેમના પરીવારમાં શોકનો માહોલ છવાયો.


ચોરવાડનો યુવાન બરફના તોફાનનો ભોગ બન્યો

ચોરવાડનો યુવાન રાકેશ ડાભી દેશની સેવાના ઉદેશ્યથી અગ્નિવીરમાં ભરતી થયો હતો. બે વર્ષથી આ યુવાન મહાર યુનિટમાં ફરજ બજાવતો હતો. અગ્નિવીર જવાનોને જુદા-જુદા સ્થાનો પર ફરજ પર મોકલવામાં આવ્યા હતા. અને ચોરવાડના આ યુવાન સહિત અન્ય યુવાનો પણ લેહમાં ફરજ પર હતા. ત્યારે લેહમાં અચાનક આવેલ બરફના વાવાઝોડામાં સ્નો સ્લાઈડીંગ થયું અને યુવાનો બરફના વાવાઝોડામાંથી બહાર નીકળી શકયા નહીં અને તોફાનનો ભોગ બન્યા.

વતન ચોરવાડમાં ગાર્ડ ઓફ ઓનર અપાશે

માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્લાઈડીંગ થવાથી ચોરવાડના રાકેશભાઈ ડાભી અને અન્ય બે જવાન શહીદ થયા છે. તા. 11ના સેનાના જવાનો દ્વારા વતન ચોરવાડમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમયાત્રા નીકળશે. હાલ આ જવાન શહીદ થયાના સમાચારથી ચોરવાડમાં ગમગીની વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ઉત્તરભારતમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. ધોધમાર વરસાદના કારણે ભૂસ્ખલ અને નદીઓમાં પૂર આવતા ઉત્તરાખંડ, ઉત્તરકાશી, જમ્મુકાશ્મીર, હિમાચલપ્રદેશ, દિલ્હી અને પંજાબમાં ભારે તબાહી સર્જાઈ.

  • Follow us on: