જૂનાગઢમાં 300 વર્ષ જૂની પ્રાચીન એવી હઝરત જોક અલીશા દરગાહ તોડી પાડવાના વિવાદમાં સુપ્રીમકોર્ટના હુકમ અને માર્ગદર્શિકાનો ભંગ થયાનું સામે આવતાં ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર અને સિનિયર ટાઉન પ્લાનર વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી છે. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે આ બંને અધિકારીઓને આગામી મુદતે અદાલત સમક્ષ હાજર રહેવા પણ તાકીદ કરી હતી અને કેસની વધુ સુનાવણી તા.28મી જૂલાઇના રોજ મુકરર કરી હતી.


હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા અને માર્ગદર્શિકા તેમ જ તેના અનુસંધાનમાં રાજય સરકાર દ્વારા તૈયાર કરાયેલી નીતિનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ થાય છે અદાલતી અવમાનના બદલ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર અને સિનિયર ટાઉન પ્લાનીંગ ઓફ્સિરને અદાલત રૂબરૂ બોલાવવાનું અમે યોગ્ય માનીએ છીએ. આમ ઠરાવી હાઇકોર્ટે આ બંને સત્તાધીશો વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી હતી.

હઝરત જોક અલીશા દરગાહના ટ્રસ્ટીઓ તરફ્થી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, જાહેર રસ્તા, માર્ગો કે જાહેર સ્થળો પર અડચણરૂપ ધાર્મિક સ્થાનો દૂર કરવા અંગે સુપ્રીમકોર્ટે વર્ષ 2018માં સરકાર અને સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. જો કે, આ હુકમમાં સુપ્રીમકોર્ટે મહત્ત્વની માર્ગદર્શિકા પણ જારી કરી હતી કે, સત્તાવાળાઓએ કેસ ટુ કેસ ધ્યાને લઇ તેને સ્થળાંતરિત કરવાનો, જો નિયમિત થઇ શકે એમ હોય તો નિયમિત કરવા, પુનઃસ્થાપિત કરવાનો કે, દૂર કરવા સહિતના નિર્ણયો લેવાનું સ્પષ્ટ કહ્યું હતું. આ હુકમના આધારે રાજય સરકાર દ્વારા તા.19-4-2024ના રોજ ખાસ નીતિ બનાવવામાં આવી હતી અને તેના અનુસંધાનમાં એક કમીટી પણ બનાવવામાં આવી હતી.

અરજદારપક્ષ તરફ્થી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વિવાદીત દરગાહ અતિ પ્રાચીન અને આશરે 300 વર્ષ કરતાં પણ વધુ પુરાણી છે ત્યારે અરજદારોને સાંભળ્યા વિના કે કમીટી સમક્ષ સુનાવણી કર્યા વિના સિનિયર ટાઉન પ્લાનર વિવેક કિરણ પારેખે નોટિસ જારી કરી હતી.


  • Follow us on: