જૂનાગઢ શહેરના ભૂતનાથ રેલ્વે ફાટક પર રેલ્વે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ટેકનિકલ ખામીને કારણે ફાટક બંધ ન થતાં ખુલ્લા ફાટકે ટ્રેન પસાર કરવામાં આવી હતી. જેના કારણે મોટો અકસ્માત ટળ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.ટ્રેન પસાર થયા બાદ રેલ્વે વિભાગે તાત્કાલિક ફાટકનું રિપેરિંગ કર્યું હતું.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અકસ્માતની ઘટના બની ન હતી.
રેલવે લાઇનને બાયપાસ કરવાની ચર્ચા પણ ફરી શરૂ થઈ
જૂનાગઢ શહેરના હૃદયસ્થાનમાં આવેલા ભૂતનાથ રેલ્વે ફાટક પર ટેકનિકલ ખામી સર્જાતાં ફાટક બંધ થઈ શક્યું ન હતું. આ સ્થિતિમાં રેલ્વે વિભાગે ખુલ્લા ફાટકે જ ટ્રેન પસાર કરી હતી. જેનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇન લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે.ભૂતનાથ ફાટક જેવા વ્યસ્ત વિસ્તારોમાં રેલ્વે ફાટકોની સુરક્ષા અને ટેકનિકલ ખામીઓ શહેરીજનોના જીવન માટે જોખમરૂપ બની શકે છે. શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને બાયપાસ કરવાની ચર્ચા પણ ફરી શરૂ થઈ છે.
સુરક્ષા વ્યવસ્થાઓની ગંભીર ખામીઓ ઉજાગર
આ ઘટનાએ રેલ્વે વિભાગની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થાઓની ગંભીર ખામીઓ ઉજાગર કરી છે. શહેરના નાગરિકો દ્વારા આવી ઘટનાઓ ન બને તે માટે રેલ્વે વિભાગ પાસેથી નક્કર પગલાંની માંગ ઉઠવા લાગી છે.આ ઘટના બાદ રેલ્વે વિભાગે ફાટકનું રિપેરિંગ તો કર્યું પરંતુ આવી ટેકનિકલ ખામીઓ ન થાય તે માટે નિયમિત તપાસ અને જાળવણીની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. નિષ્ણાતોના મતે રેલ્વે ફાટકોની આધુનિક ટેકનોલોજી અને ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ આવી ઘટનાઓને રોકવામાં મદદરૂપ થઈ શકે છે.આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે.









