જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે, ટ્રાફિકને અડચણરૂપ થતા 2 ધાર્મિક સ્થળને દૂર કરવામાં આવ્યા છે, નેશનલ હાઈવે ઓથોરિટીએ આ દબાણ દૂર કર્યા છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી, ભવિષ્યમાં અન્ય કોઈ ધાર્મિક સ્થળ કે જગ્યા અડચણરૂપ હશે તો તેને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.
જૂનાગઢના માંગરોળમાં ડિમોલિશન કરાયું ધાર્મિક સ્થળનું
જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં મોડી રાત્રે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વેરાવળ-પોરબંદર નેશનલ હાઇવે પર ટ્રાફિકને અડચણરૂપ બની રહેલા બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા, ડિમોલિશનની આ કામગીરી માટે નેશનલ હાઇવે ઓથોરિટી, તંત્ર, પોલીસ અને પીજીવીસીએલની ટીમો ખડેપગે રહી હતી.
ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે કરાયું છે ડિમોલિશન
કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો વિશાળ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરતા રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થામાં એસપી, ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ સહિત કુલ 300 પોલીસ કર્મચારીઓ તથા 150 જીઆરડી અને હોમગાર્ડ જવાનો જોડાયા હતા, ડિમોલિશનની કામગીરી દરમિયાન વાહનવ્યવહારને અસર ન થાય અને સુરક્ષા જળવાઈ રહે તે માટે રાત્રિના સમયે અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. સઘન સુરક્ષા વ્યવસ્થા અને તંત્રના સહયોગથી આખી કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પડી હતી, આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો અને નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર સુગમ બનાવવાનો હતો.









