ગીરના જંગલની દંતકથા સમાન સિંહ જોડી 'જય અને વીરુ' ભલે શારીરિક રીતે વિખૂટી પડી હોય, પરંતુ તેમના આત્માનો અવાજ ગીરના જંગલમાં સદાય ગુંજતો રહેશે. એકાદ મહિના પહેલા વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની આ અતૂટ જોડીનો અંત આવ્યો છે જેના કારણે સમગ્ર વન્યજીવ પ્રેમીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકો દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયાસો છતાં, જય અને વીરુ તેમને થયેલી ગંભીર ઇજાઓમાંથી બહાર આવી શક્યા નહીં અને આખરે મૃત્યુને ભેટ્યા.


[[$googlead]]

જયની સારવાર માટે વનતારાની વિશેષ ટીમે પણ ગીરમાં બે દિવસ રોકાણ કર્યું હતું

પરંતુ કમનસીબે તેઓ પણ ઇચ્છીત પરિણામ મેળવી શક્યા નહીં. વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીએ અત્યંત ભારે હૃદય સાથે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વીરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો. તેમણે ઉમેર્યું હતું કે, “આપણા માનનીય PM નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગલમાં તેમના આત્માનો અવાજ સદા ગુંજતો રહેશે.

[[$alsoread]]

ગીરના હૃદયમાં, જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા

તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ 'શોલે'ની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી હતી. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી. ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરુના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતા પ્રાસંગિક નાનાં-અમથાં ઝગડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે.

બન્નેની મિત્રતા અને નિર્ભયતાની ગાથા સદાય જીવંત રહેશે

આ વફાદારીના કારણે જ તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયા જેવા વિસ્તારોમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા હતા. તેમની રહસ્યમયી ડણક તેમની દોસ્તીના શાશ્વત પ્રતિજ્ઞાના પ્રતીક સમા સ્તુતિગાન “ये दोस्ती...हम नहीं तोड़ेंगे, छोड़ेंगे दर मगर, तेरा साथ न छोड़ेंगे...” ને પ્રતિબિંબિત કરતી હતી. વન્યજીવ પ્રેમીઓમાં એક કહેવત પ્રચલિત હતી કે, “ગિરમાં જય-વીરુને નહીં જોયા તો કંઈ નથી જોયું.” ગીર હંમેશા દંતકથારૂપ સિંહ જોડીઓનું અભયારણ્ય રહ્યું છે. જય અને વીરુ પહેલાં, આ જંગલમાં ધરમ-વીરની જોડી હતી, જેની ભાઈબંધીની ગાથા આજે પણ ગવાય છે. જય અને વીરુની વિદાય સાથે, ગીરમાં એક યુગનો અંત આવ્યો છે, પરંતુ તેમની મિત્રતા અને નિર્ભયતાની ગાથા સદાય જીવંત રહેશે.

  • Follow us on: