પવિત્ર લીલી પરિક્રમાના માહોલ વચ્ચે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભવનાથ સ્થિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ આશ્રમમાંથી ગુમ થયા છે. સવારે તેઓ આશ્રમમાંથી નીકળી ગયા હતા અને એક સુસાઇડ નોટ પણ લખી ગયા હોવાનું સામે આવ્યું છે.


ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ગુમ

આશ્રમ સંચાલકોને મહાદેવ બાપુના ગુમ થવા અંગે જાણ થતા જ તાત્કાલિક ભવનાથ પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, મહાદેવ ભારતી બાપુએ સુસાઇડ નોટમાં અંગત મનદુ:ખનું કારણ આપીને આશ્રમ છોડ્યું હોવાનું લખ્યું છે. જોકે, પોલીસે જણાવ્યું છે કે મામલો હાલ તપાસ હેઠળ છે અને સુસાઇડ નોટમાં કોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અંગે હજી સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

સુસાઇડ નોટમાં 'અંગત મનદુ:ખ'નું કારણ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની ટીમોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી દીધી છે. જૂનાગઢ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને મહાદેવ ભારતી બાપુને શોધવાના પ્રયાસો તેજ કર્યા છે. ખાસ કરીને લીલી પરિક્રમાનો સમય હોવાથી પર્વત અને આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મહાદેવ ભારતી બાપુ ગુમ થવાના કારણે તેમના સેવકો અને અનુયાયીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સૌ કોઈ તેમના સહીસલામત પાછા ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે.

  • Follow us on: