જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં આવેલા ભાટગામમાં દીપડાના આતંકથી ભયનો માહોલ ફેલાયો છે. એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં દીપડાના હુમલાથી બચવાના પ્રયાસમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. એક દીપડો ગામના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને તેણે એક ઘેટાંનું મારણ કર્યું હતું.


ઘરમાં દીપડો ઘૂસી જતા અફરાતફરી

આ જોઈને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. દીપડો અચાનક એક ઘરમાં ઘૂસી જતા પરિવારના સભ્યોમાં ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. આ ભાગદોડ અને ગભરામણમાં બે લોકો પડી જવાથી સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

અફરાતફરીમાં બે લોકો થયા ઇજાગ્રસ્ત

ટીમે દીપડાને ઘેરી વળવા માટે જાળ બિછાવી હતી અને તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના માનવ વસવાટમાં ઘૂસી આવવાની ઘટનાઓ વધી રહી છે જે ચિંતાનો વિષય છે. આ ઘટનાએ ફરી એકવાર દીપડાના ભયને ઉજાગર કર્યો છે. વન વિભાગ દ્વારા આ પ્રકારના બનાવો અટકાવવા અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવા માટે કાયમી ઉકેલ લાવવા માટેના પગલાં ભરવા જરૂરી બન્યા છે.


  • Follow us on: