કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને પાલેજ સાથે જોડતો રોડ બિસ્માર બન્યો છે. વર્ષ અગાઉ 32 કરોડના ખર્ચે આ રોડને મજબૂતી કરણ સાથે બનાવવામાં આવ્યો હતો, અહીંથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. નર્મદા નદીમાં રેતીની લિજો આવી હોવાથી હજારો વાહનો રેતી ભરી પસાર થતા હોય છે. જેને લઈ મજબૂતી કરણથી રોડ બનાવવામાં આવ્યો હતો. રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. રોડ એટલો બધો જર્જરિત થયો છે કે કમર તોડ ખાડાઓનું નિર્માણ થયું છે.
કરજણમાં રોડ બિસ્માર બન્યો
હાલમાં રેતીના સ્ટોક ઉપરથી રેતી ભરી ઓવરલોડ વાહનો પસાર થવાથી રોડ ઉપર 3થી4 ફૂટ ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નાના વાહન ક્યાંથી હંકારવા એ મુંજવણ રૂપ લાગી રહ્યું છે, રોડ ખાડામાં કે રોડ ઉપર ખાડા એ કહેવું મુશ્કેલ થઈ રહ્યું છે, રોડ ઉપર જાણે ડામરની જગ્યાએ કાદવ - કિચડ હોય એવી લાગી રહ્યું છે. મોટા ખાડાઓના કારણે વાહનો ફસાઈ રહ્યા છે. 108 જેવી ઇમરજન્સી સેવા વાળા અહીંથી પસાર થવામાં મુંજાઈ રહ્યા છે.
રોડ પર 3થી4 ફૂટ ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય
રોડ ઉપર કેટલીક જગ્યાએ ખાડાઓને લઈ સીંગલ સાઈડ ઉપરથી વાહનો અવર જવર કરે ત્યારે ટ્રાંફિક જામ પણ સર્જાય છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી, સ્થાનિકો દ્વારા આ બાબતે તંત્રના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તાલુકાના અનેક ગામોના લોકો આ રોડ ઉપરથી દરોજ અવરજવર કરે છે. રોડની હાલત જોતા કલ્પના કરવી રહી કે સ્થાનિકો કેવી મુશ્કેલીઓનો સામનો કરી પસાર થતા હશે.