ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે, 'ઓપરેશન સિન્દૂર' દરમિયાન સાહસ અને બહાદુરીથી શ્રેષ્ઠ કામગીરી કરનાર 21 શૌર્યચક્ર વિજેતા અધિકારીઓ અને જવાનોએ મુલાકાત લીધી હતી. આ વીર જવાનોમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના અધિકારીઓ અને જવાનોનો સમાવેશ થાય છે. આ તમામ શૌર્યચક્ર વિજેતાઓએ દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રની એકતા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.
BSF અને CRPFના અધિકારીઓની ઉપસ્થિતિ
એકતા નગર ખાતે ઉપસ્થિત રહેલા 21 શૌર્યચક્ર વિજેતાઓમાં BSFના 16 અધિકારીઓ અને જવાનો તેમજ CRPFના 5 અધિકારીઓ અને જવાનોનો સમાવેશ થાય છે. BSFની યાદીમાં ડીસી રવિન્દ્ર રાઠોડ, ઇન્સ્પેક્ટર દેવિલાલ, હેડ કૉન્સ્ટેબલ સાહિબસિંહ, અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આલોક નેગી જેવા બહાદુર જવાનો હતા, જ્યારે CRPF તરફથી ડીસી વિક્રાંતકુમાર, ઇન્સ્પેક્ટર જેફ્રી હમિંગચુલ્લો અને કૉન્સ્ટેબલ સદ્દામ હુસેન સહિતના વીર જવાનોએ ગૌરવભેર હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિથી રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ વધુ ગૌરવશાળી બન્યો હતો.
