ખેડા જિલ્લામાં ચિતલાવથી સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. બ્રિજ તૂટી પડ્યાના આટલા સમય પછી પણ સરકારી તંત્ર એ નક્કી કરી શક્યું નથી કે આ બ્રિજ કયા વિભાગના અંડરમાં આવતો હતો. એક તરફ માર્ગ અને મકાન (R&B) વિભાગ આ જવાબદારી સિંચાઈ વિભાગની હોવાનું બતાવી રહ્યો છે, તો બીજી તરફ સિંચાઈ વિભાગ સમગ્ર જવાબદારી R&B વિભાગ શીરે ઢોળી રહ્યું છે.

ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં બંધ બારણે બેઠક

આ ગોલમાલ અને વિવાદ વચ્ચે ઘટનાસ્થળથી ચાર કિલોમીટર દૂર આવેલી રાણીયા ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બંધ બારણે બેઠક યોજાઈ રહી છે. આ સમીક્ષા બેઠકમાં ઠાસરા મામલતદાર, R&B વિભાગ (ગ્રામ્ય) તેમજ સિંચાઈ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિજની માલિકી, જાળવણીની જવાબદારી અને દુર્ઘટના પાછળ કોની બેદરકારી હતી તે બાબતો નક્કી કરવામાં આવશે.

તપાસ બાદ કાર્યવાહીની શક્યતા

બેઠક પૂર્ણ થયા બાદ જ બ્રિજ ધરાશાયી થવા પાછળનું સાચું કારણ અને જવાબદાર વિભાગ કે અધિકારી સામે શું કાર્યવાહી થશે તે સ્પષ્ટ થશે. જોકે, સરકારી વિભાગોના એકબીજા પર દોષારોપણ કરવાની નીતિને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે નવો બ્રિજ બનાવવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : 21 વર્ષના યુવકના દુઃખદ અવસાન પર સિવિલ તંત્રની પ્રતિક્રિયા, 'પરિવારની સાથે છીએ, તપાસ થશે'