મહુધા તાલુકાના બલોલ-મિર્જાપુર વચ્ચે આવેલો જૂનો બ્રિજ જર્જરિત થઇ ગયો છે. આ બ્રિજનો બલોલ તરફ્ના છેડાના ભાગે તેમજ બ્રિજની વચ્ચે તિરાડો પડી ગયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જેની ખરાઈ કરતા જુના બ્રિજની દયનિય હાલત દેખાઈ આવે છે. જેને કારણે ગમે ત્યારે ધડમ કરીને બ્રિજ તૂટી પડવાનો સ્થાનિકોને ભય છે. અમદાવાદ-ડાકોરના મુખ્ય માર્ગ ઉપર આવેલ મહુધા તાલુકાના બલોલ ગામથી મિર્ઝાપુર તરફ્ના મહોર નદી પર બનેલા જુના બ્રિજની એકદમ ખસ્તા હાલત થઇ ગઈ છે. જે બાબતે મિર્જાપુરના સરપંચે માર્ગ અને મકાન વિભાગને વારંવાર જાણ કરી હોવા છતાં પણ કોઈ અધિકારીએ ધ્યાન આપ્યું નથી.
જેથી સ્થાનિકોએ કંટાળીને તેમજ ગંભીરા જેવી કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે સોશિયલ મીડિયામાં આ બ્રિજનો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં મિર્જાપુર બ્રિજના બલોલ તરફ્ના છેડે પડેલી મોટી તિરાડો સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. આ બ્રિજ ઉપરથી રોજના હજારો નાનામોટા વાહનો પસાર થાય છે. આ સ્ટેટ રોડ અમદાવાદથી ડાકોરને જોડતો મુખ્ય રસ્તો છે. જેથી અતિવ્યસ્ત આ સ્ટેટ હાઇવે ઉપરના જુના બ્રિજ ઉપરની તિરાડો મોટી દુર્ઘટના સર્જી શકે છે.
આ બાબતે મિર્જાપુરના સરપંચે માર્ગ અને મકાન વિભાગને 6 મહિના પહેલાથી જાણ કરી હોવા છતાં કોઈ અધિકારી આ બ્રિજની મરામત કરવા આવ્યા નથી. બલોલથી મિર્જાપુર વચ્ચેના બ્રિજ બાબતે મિર્જાપુરના સરપંચ આસિફ્મિયા મલેકે જણાવ્યું હતું કે આ બ્રિજની હાલત ખરાબ છે. જે બાબતે મે 6 મહિના પહેલાથી માર્ગ અને મકાન વિભાગ નડિયાદને જાણ કરી હતી.
ત્યારે માર્ગ અને મકાન વિભાગમાંથી કેટલાક અધિકારીઓ આવ્યા હતાઅને રોડ ઉપરથી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને જતારહ્યા હતા. આ બાબતે બલોલ તેમજ મિર્જાપુરના સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ બ્રિજ જૂનો છે. જે બાબતે અગાઉ સર્વે હાથ ધરવામાં આવ્યા છે. પણ હાલ આ બ્રજ ઉપરથી કોઈ વાહન પસાર થાય છે ત્યારે જાણે ટ્રેનમા હોઈએ અને જેવો અહેસાસ થાય તેવું લાગે છે. આ બાબતે મહુધાના મામલતદારે જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટે મહુધા તાલુકાના 8 જેટલાં બ્રિજની સ્ટેબીલિટી ચેક કરી હતી. જેમાંથી એકજ બ્રિજનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાકી બધા બ્રિજ વ્યવસ્થિત હતા.