નૂતન વર્ષના શુભ અવસરને સનાતન યાત્રાનું સ્વરૂપ આપીને, મોરારીબાપુ દ્વારા એક દિવ્ય અને ઐતિહાસિક 'રામયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપક્રમમાં ભગવાન રામના પવિત્ર યાત્રાધામોને ક્રમશઃ સાંકળીને રામકથાનું ગાન કરવામાં આવશે.
ઐતિહાસિક 'રામયાત્રા'નું આયોજન
આ 'રામયાત્રા' આગામી શનિવાર, તારીખ 25મી ઓક્ટોબરથી શરૂ થશે. આ યાત્રા રેલ અને હવાઈ માર્ગ દ્વારા યોજાશે, જેના કારણે દેશ-વિદેશના ભાવિક શ્રોતાઓ આ દિવ્ય કથાનો લાભ લઈ શકશે. આ યાત્રા અયોધ્યાથી શ્રીલંકા સુધીના ભગવાન રામના પદચિહ્નોને અનુસરશે.
યાત્રા રેલ અને હવાઈ માર્ગ દ્વારા યોજાશે
અયોધ્યાથી શ્રીલંકા સુધીના ભગવાન રામની યાત્રાના સ્થાનોને ક્રમશઃ સાંકળતો રામકથા ગાન સાથેનો દિવ્ય ઉપક્રમ મોરારિબાપુ દ્વારા યોજાનાર છે. આ 'રામયાત્રા' ઉપક્રમ વિગત મુજબ શનિવાર તા.25થી મંગળવાર તા.4 દરમિયાન વિવિધ સ્થાનો પર કથાગાન થશે. શનિવાર તા.25 અત્રિ મુનિ આશ્રમ, ચિત્રકુટ, રવિવાર તા.26 અગસ્ત્ય મુનિ આશ્રમ, સતના, સોમવાર તા.27 પંચવટી, મંગળવાર તા.28 સબરી આશ્રમ, સુરિબાના, બુધવાર તા.29 ઋષિમુખ પર્વત, હમ્પી, ગુરુવાર તા.30 પ્રવર્ષણ પર્વત, શનિવાર તા.1 રામેશ્વરમ અને ત્યાંથી સોમવાર તા.3 કોલંબો શ્રીલંકા થઈને મંગળવાર તા.4 અયોધ્યા રામકથા પહોંચશે.