ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં આવેલી ચંપલપુર વસાહત પાસેના એમ.આર.એફ. (MRF) સેન્ટરમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. સેન્ટરમાં રાખવામાં આવેલા ઘન કચરાના વિશાળ ડમ્પમાં આગ લાગતા જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈ આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક જાગૃતિ દાખવી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની સતર્કતાથી ઇન્દિરાનગર બચ્યું

ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમ બે ગાડીઓ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આગ એટલી ભયાનક હતી કે જો ફાયરની ટીમ સમયસર ન પહોંચી હોત, તો બાજુમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તાર પણ આગની ઝપેટમાં આવી ગયો હોત. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ અને નુકસાન ટળ્યું છે.

તંત્રની ઉદાસીનતા સામે રહીશોમાં રોષ

આટલી ભીષણ આગ લાગી હોવા છતાં નગરપાલિકાના કોઈ જવાબદાર કર્મચારી કે કોર્પોરેટર ઘટનાસ્થળે ડોકાયા ન હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. ભરચક વસાહતની નજીક આવેલા આ સેન્ટરમાં વારંવાર સર્જાતી આવી પરિસ્થિતિ સામે તંત્રની ગેરહાજરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આગ કાબૂમાં આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો