શહેરના વોર્ડ નં.6માં દૂધસાગર રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં ચાલતી આંગણવાડીમાં લોલમલોલ ચાલતી હોવાનો મામલો ફરીવાર સામે આવ્યો છે. ભાજપના કાર્યકર એવા આંગણવાડી વર્કર નઝમાબેન પઠાણની ગેરહાજરી સામે આવતાં આ મામલે મહાપાલિકાનો ICDS વિભાગ હરકતમાં આવ્યો હતો અને આંગણવાડી કાર્યકર્તાનો એક દિવસનો પગારકાપવા અને નોટિસ ફટકારવા કાર્યવાહી કરાઈ હતી. અગાઉ પણ વિવાદમાં રહી ચૂકેલી આ આંગણવાડી ફરીએક વખત વિવાદમાં આવી હતી. સવારે આંગણવાડીના સમયે માસૂમ બાળકો જ્યારે અંદર હાજર હતા એ સમયે જ આંગણવાડી વર્કર જોવા મળ્યા નહોતા. તેમના સ્થાને તેમના પતિ સંચાલન કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. બાળકો માટે અપાતા ભોજનની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠયા હતા. ભોજન પણ સમય કરતા મોડું પહોંચતું હોવાના આક્ષેપો ઉઠયા હતા. આ વિશે ICDS (ઇન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ)ના પ્રોજેક્ટ ઓફિસર પૂજાબેન ડવે જણાવ્યું કે, એ બહેનનો આજનો પગાર કપાત થશે. ઉપરાંત તેમને નોટિસ પણ આપી છે. એ સિવાય પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, ખોરાક બાબતે વર્તમાન એજન્સી ગણેશ મંડળીને નોટિસ ફટકારીશું. સોમવારથી પારસ એજન્સી આંગણવાડીઓને ફૂડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ સંભાળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો