અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો વધુ જટિલ બની રહ્યો છે. શરૂઆતમાં ઢોંસાનું ખીરું ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શંકા હતી, પરંતુ તપાસ દરમિયાન ચોંકાવનારા વળાંકો આવતા હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો દોર સંભાળ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે મૃતક બાળકીઓના માતા, પિતા, દાદા અને દાદીની ઉલટ તપાસ શરૂ કરી છે.

 પુત્રની ઘેલછામાં બાળકીઓની હત્યા થઈ હોવાની આશંકા

તપાસ દરમિયાન પોલીસને પિતા વિમલ પ્રજાપતિના નિવેદનમાં અનેક વિસંગતતાઓ જણાઈ છે. પિતાએ ઘઉંમાં નાખવાની દવાની 10 પડીકીઓ ખરીદી હોવાનું કબૂલ્યું છે, જેમાંથી માત્ર 8 જ મળી આવી છે. બીજી તરફ, માતા ભાવનાબેનની ડાયરીમાંથી 'પુત્ર પ્રાપ્તિની ઝંખના'ના લખાણો મળી આવતા અંધશ્રદ્ધા અથવા પુત્રની ઘેલછામાં બાળકીઓની હત્યા થઈ હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે.

FSL ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે

ક્રાઈમ બ્રાન્ચ હવે પરિવારના સભ્યોના લાઈ ડિટેક્શન (પોલીગ્રાફ) ટેસ્ટ કરવાની દિશામાં પણ વિચારી રહી છે. હોસ્પિટલના રિપોર્ટમાં માતા-પિતાના બ્લડમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ (ઝેરી તત્ત્વ) મળી આવ્યું છે, જે કોઈ સામૂહિક આત્મહત્યાના પ્રયાસ અથવા ઝેર આપવાની ઘટના તરફ ઈશારો કરે છે. FSL ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જેના પછી આ રહસ્યમય મોત પરથી પડદો ઊંચકાશે.


આ પણ વાંચો----     Local Body Elections 2026 : 7 વાગ્યાનું અપડેટ, ગુજરાતમાં 194 બેઠકો બિનહરીફ, 1832 ફોર્મ પરત ખેંચાતા રાજકીય ચિત્ર સ્પષ્ટ