અમદાવાદ શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આજે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. વસ્ત્રાપુર તળાવ સામે આવેલી એક બિલ્ડિંગમાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. કેમેરા ખરીદવા આવેલા ગ્રાહકે દુકાનદાર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
પાના વડે માથામાં ઝીંક્યા ઘા
મળતી માહિતી મુજબ, એક ગ્રાહક વસ્ત્રાપુર તળાવ સામેની દુકાનમાં કેમેરો ખરીદવા માટે આવ્યો હતો. કેમેરાના ભાવ બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં ગ્રાહક એટલો ઉશ્કેરાઈ ગયો કે તેણે પાસે પડેલા નળ ફિટ કરવાના પાના વડે દુકાનદાર પર હુમલો કરી દીધો. આરોપીએ દુકાનદારના માથાના ભાગે બે થી ત્રણ જોરદાર ઘા ઝીંકી દેતા દુકાનદાર લોહીલુહાણ થઈ ગયો હતો.
