અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને ઝોનલ અધિકારીઓની ઉદારનીનતાનો ભોગ નરોડા વિસ્તારના વાહનચાલકો અને સ્થાનિક રહીશો બની રહ્યા છે. નરોડા મુખ્ય માર્ગ પર ઊંડી ગટર લાઇનનું કામ ચાલુ છે તેવા બોર્ડ અને બેરીકેટ્સ મૂકીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કામગીરી પૂર્ણ થયાને 15 દિવસ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં, મનપાના કોન્ટ્રાક્ટર કે ઇજનેર વિભાગ દ્વારા રોડ પરથી બેરીકેટ્સ અને માટીના ઢગલા હટાવવાની તસદી લેવામાં આવી નથી.મહત્વનું છે કે કામ પૂરું થઈ ગયું હોવા છતાં રસ્તા વચ્ચે મૂકવામાં આવેલા બેરીકેટ્સના કારણે અડધો રોડ બ્લોક થઈ જાય છે. ખાસ કરીને સવાર-સાંજના પીક અવર્સ દરમિયાન નરોડા તરફ્થી પસાર થતી AMTS બસો, રિક્ષાઓ અને ખાનગી વાહનોની લાંબી લાઈનો લાગે છે. સાંકડા બનેલા રસ્તાના કારણે રોજિંદી ધોરણે ટ્રાફ્કિ જામની ગંભીર સમસ્યા સર્જાય છે, જેના કારણે નોકરિયાતો અને શાળાએ જતા બાળકો સમયસર પહોંચી શકતા નથી. રાત્રિના સમયે પૂરતી લાઈટના અભાવે દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થઈ જવાના બનાવો પણ બની રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો