અમદાવાદ શહેરના હૃદયસમા અને સૌથી વ્યસ્ત ગણાતા લાલ દરવાજા AMTSબસ ટર્મિનસ ખાતે મુસાફરોની સુવિધા માટે મૂકવામાં આવેલા આધુનિક ડિજિટલ સમય સારણી) બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. નવા લાલ દરવાજા બસ સ્ટેન્ડનું નિર્માણ કરીને તેને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી લઈને આજદિન સુધી આ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં જ લટકી રહ્યા છે, જેના કારણે રોજના હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે લાલ દરવાજા ટર્મિનસ પરથી શહેરના ખૂણે-ખૂણે જવા માટે દરરોજ હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ બસ પકડે છે. મુસાફરોને કઈ બસ કેટલા વાગે આવશે અને કયા પ્લેટફોર્મ પરથી મળશે તેની સરળ માહિતી મળી રહે તે હેતુથી લાખોના ખર્ચે આ ડિજિટલ બોર્ડ લગાવાયા હતા. જોકે, આ બોર્ડ શરૂ જ ન કરાતા મુસાફરોને બસ સમયસર મળશે કે કેમ તેની માહિતી માટે પૂછપરછ કેબિન અથવા અન્ય લોકો પર નિર્ભર રહેવું પડે છે.
