કાગડાપીઠમાં પોતાના ઘરની દિવાલ પર લઘુશંકા કરતા લોકોને વૃદ્ધ ઠપકો આપતા ચાર શખ્સોએ દંપતીના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ અંગે વૃદ્ધે ચારેય શખ્સો સામે ફરિયાદ નોધાવી છે.
કાગડાપીઠમાં ભુલાભાઇ પાર્ક પાસે રહેતા 63 વર્ષીય સુરેશભાઇ આસોડિયા નિવૃત્ત જીવન ગુજારે છે. ગત 14 ડિસેમ્બરે રાત્રીના સમયે તે પત્ની સાથે ઘરે હતા ત્યારે રૂષિ દવે અને તેના મિત્રો સુરેશભાઇના ઘરની બહાર બેઠેલા હતા. ત્યારે તેમના ઘરની બહાર દિવાલ પર ઘણી વખત અજાણી વ્યક્તિઓ લઘુશંકા કરી જતું હોવાથી સુરેશભાઇએ રૂષિને ઠપકો આપતા તે બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી સુરેશભાઇ ઘરમાં જતા રહ્યા હતા. આ દરમ્યાન રૂષિ, યશ જાદવ, હર્ષ જાદવ અને પકો દરવાજો ખખડાવવા લાગ્યા હતા. બાદમાં ચારેય શખ્સોએ સુરેશભાઇના ઘર પર પથ્થરમારો કર્યો હતો. તેમજ તું ઘરની બહાર નીકળ આજે તો જાનથી મારી નાખવો છે કહીને ધમકી આપી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા ચારેય શખ્સો ભાગી ગયા હતા. આ અંગે સુરેશભાઇએ ચારેયશખ્સો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.










