અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ પડતાં પૂર્વ ઝોનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. ઓઢવ GIDC નજીક આવેલા મધુમાલતી આવાસમાં વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ઘૂંટણસમા અને ઘરોની અંદર 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે દર ચોમાસામાં વરસાદ આવે ત્યારેઅમારી ખરાબ હાલત થાય છે અને અત્યારે પણ રસોડા અને લિવિંગ એરિયામાં પાણી ફરીવળતાં ગેસ સિલિન્ડર, ઘરવખરી અને કિંમતી સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે.પાણીના ભરાવાને કારણે લોકોને રસોઈ બનાવવામાં તથા ઘરમાં રહેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે ઈસ્ટર્ન ટ્રંક લાઈન અને ડ્રેનેજ પ્રોજેક્ટ બનાવ્યા હોવાના દાવા છતાં દર ચોમાસે મધુમાલતી આવાસમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથે જ વરસાદી પાણીની સાથે ગટરના પાણી મિશ્રિાત થવાના કારણે વિસ્તારમાં દુર્ગંધ અને સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે.સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પંપ મૂકીને પાણીનો નિકાલ કરવાની અને ગટર લાઇનની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે પૂર્વ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતાં જ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવા છતા થઈ જાય છે.GIDC પાસે આવેલા મધુમાલતી આવાસમાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જવા તે કાયમી સમસ્યા બની ગઈ છે. થોડા જ વરસાદમાં સોસાયટીના કમ્પાઉન્ડ સહિત લોકોના ઘરોમાં 2 ફૂટ સુધી પાણી ઘૂસી જાય છે.મહત્વનું છે કે માત્ર એક-બે કલાકના વરસાદ બાદ પણ પાણી ઓસરવાના બદલે અઠવાડિયાં અને મહિનાઓ સુધી સોસાયટીમાં ભરાયેલા રહે છે. ઘરોમાં પાણી ભરાવાના કારણે રસોડાનો સામાન, ગેસ સિલિન્ડર, ફ્ર્નિચર અને અન્ય કિંમતી ઘરવખરીને ભારે નુકસાન પહોંચે છે. પાણીના કાયમી ભરાવા અને ગટરના પાણી મિશ્રિત થવાને કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે, જેનાથી ડેન્ગ્યુ, મલેરિયા અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે.

સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્ર અને સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆતો કરવા છતાં કાયમી નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ચોમાસાના મહિનાઓ સુધી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બનેલા રહીશો હવે આક્રોશમાં છે.