કલા અને સંસ્કૃતિથી ભારત દેશ વિશ્વભરમાં ઓળખાય છે. પ્રાચીન ભારતીય કલા-સંસ્કૃતિને જીવંત રાખવા અનેક સંસ્થાઓ કાર્યરત છે.


જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. શિક્ષણ, લોકસેવા અને સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા અગ્રેસર રહેલા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમદાવાદના કાલુપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે 'સમૈયો' ઉત્સવની ઉજવણી અંતર્ગત વિશેષ હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા આશરે 200 વર્ષ પહેલાં લખાયેલા પવિત્ર શિક્ષાપત્રીના લેખનને 200 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ ભવ્ય 'સમૈયો' ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશગાદીના સાતમા આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને ભાવિ આચાર્યશ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં, કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2026 દરમિયાન આ ઉત્સવ ભવ્ય રીતે ઊજવાશે. દેશ-વિદેશથી હજારો હરિભક્તો અને સંતો આ ઉત્સવમાં હાજરી આપશે. આ 'સમૈયો' ઉત્સવના ઉપક્રમે તાજેતરમાં કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચિત્રકલાના વિદ્યાર્થીઓ તથા કલાકારો માટે હેરિટેજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની જવાબદારી જાણીતા ચિત્રકાર વિનય પંડયા અને પ્રફુલ ખરસાનીને સોંપવામાં આવી હતી.

વિજેતા કલાકારોને 'સમૈયો' ઉત્સવ દરમિયાન સન્માન સાથે નવાજવામાં આવશે

અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હોવાથી સ્પર્ધાનો વિષય 'અમદાવાદ હેરિટેજમાં કાલુપુર મંદિર'રાખવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં આશરે 200 જેટલા કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલાકારોએ પોતાની અનોખી કલાત્મક શૈલી દ્વારા મંદિરના હેરિટેજ સૌંદર્યને કેન્વાસ પર ઉતાર્યું હતું. મંદિરની સુંદર કોતરણી, ઝરૂખા, કલાત્મક પિલ્લરો, પિલ્લરોને જોડતી કમાન, આકર્ષક પ્રવેશદ્વાર તથા ભવ્ય આર્કિટેક્ચરલ ડિઝાઇન ચિત્રોમાં જીવંત રીતે ઉપસી આવી હતી. વર્ષો પહેલાં નિર્માણ થયેલા આ ઐતિહાસિક મંદિરની વિશિષ્ટ સ્થાપત્ય કળા આજે પણ દર્શકોના હૃદયને સ્પર્શે છે, જે વાત કલાકારોએ પોતાના ચિત્રોમાં અસરકારક રીતે રજૂ કરી હતી. આ અંગે વાત કરતા વિનય પંડયાએ કહ્યું કે, સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કલાકારોને પ્રોત્સાહન રૂપે 'શ્રી સ્વામિનારાયણ ચિત્ર કલા' અને 'શ્રી સ્વામિનારાયણ શિલ્પ સ્થાપત્ય' નામના બે મૂલ્યવાન ગ્રંથો ભેટ આપવામાં આવ્યા હતા. જ્યારે વિજેતા કલાકારોને 'સમૈયો' ઉત્સવ દરમિયાન સન્માન સાથે યોગ્ય ઇનામોથી નવાજવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: