એક તરફ શહેરના ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવા માટે AMC દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યાં બીજી તરફ ત્યાં રહેતાં લોકોને પીવાનું પાણી પણ યોગ્ય રીતે મળી રહ્યું નથી.


મધ્યઝોન અને કોટ વિસ્તારમાં ખાસ કરીને ખાડિયામાં ફરી એકવાર પ્રદૂષિત પાણીની ફરિયાદો વધી રહી છે. આ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ લાવવા મ્યુનિસિપલ કમિશનરે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી. પરંતુ અધિકારીઓ આ સૂચનાઓને ઘોળીને પી જતા ખાડિયામાં ઝાડા- ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં પણ માંડવીની પોળ, હીરા ગાંધીની પોળ, શેઠની પોળ, દોલતખાના, લાલજી મહારાજનું ચોકઠું સહિતના વિસ્તારોમાં પ્રદુષિત પાણી મળી રહ્યું છે. જેના કારણેની હાડમારી વધી રહી છે.

આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરતાં ખાડિયાના રહીશોએ જણાવ્યું કે, આ ખાડિયાની લગભગ તમામ પોળોની દશા છે. આ વાસ્તવિકતા છે અને છેલ્લા કેટલાય મહિનાઓથી આ વારંવાર ફરિયાદ કરવામાં આવી છે. કોર્પોરેશનના એન્જિનિયર સુધી આ અંગેની ફરિયાદ કરવાં છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે લોકોના સ્વસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. તેમ છતાં અધિકારીઓ કે તંત્રની આંખ ઉઘડી રહી નથી. તેમજ હેલ્થ વિભાગ અને ઈજનેર વિભાગને આ અંગે ફરિયાદ કરવામાં આવે છે તો તેઓ ખાડા કરી અને લાઈન વોશઆઉટ કરીને જતા રહે છે.


  • Follow us on: