શહેરના સાત ઝોનમાં એકસાથે ચાલી રહેલી આ ઝુંબેશ અંતર્ગત મુખ્ય માર્ગો, મોડેલ રોડ, જંકશન ડેવલપમેન્ટ અને અન્ય અનેક રસ્તાઓ તેમજ હાઇકોર્ટના PIL રૂટ હેઠળ આવતા વિસ્તારોમાં દબાણ દૂર કરવાની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (એસ્ટેટ) રિદ્ધેશ રાવલે જણાવ્યું હતું કે, AMC દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન–એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી છે.
દરેક ઝોનના મુખ્ય માર્ગો પર છેલ્લા દબાણ હટાવવાની કામગીરી
જેમાં હાલમાં દબાણ અને પાર્કિંગ મુદ્દે AMC દ્વારા સવારે, સાંજે અને રાત્રે એમ ત્રણ શિફ્ટમાં સઘન કામગીરી ચાલી રહી છે. CG રોડ, આશ્રમ રોડ, SG હાઇવે, 132 ફૂટ અને 150 ફૂટ રિંગ રોડ જેવા શહેરના મુખ્ય માર્ગો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રહેશે. રિદ્ધેશ રાવલે જણાવ્યું કે, ટ્રાફિકનો સ્મૂથ ફ્લો સુનિશ્ચિત કરવા માટે શહેરનાં અનેક રસ્તાઓની કામગીરી કરવામાં આવી રહી છે. તે સાથે જ હાઇકોર્ટના સૂચન અનુસાર PIL રૂટમાં આવતા દરેક ઝોનના મુખ્ય માર્ગો પર છેલ્લા બે વર્ષથી દબાણ હટાવવાની કામગીરી સતત ચાલી રહી છે.
અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા નોંધપાત્ર રીતે સુધરી
આ કામગીરી માટે દરેક ઝોનમાં ડેપ્યુટી એસ્ટેટ અધિકારીના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત છે, જેને સહાયરૂપ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ, વાહનો અને મજૂરોની ટીમો કાર્યરત છે. એપ્રિલ થી ડિસેમ્બર દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહી હેઠળ રૂ. 4.02 કરોડ જેટલા વહીવટી ચાર્જ અને દંડ વસૂલવામાં આવ્યા છે. આ ઉપરાંત 58,000 ગેરકાયદે હોર્ડિંગ્સ તથા 14,000 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત AMC દ્વારા એપ્રિલથી 22 ડિસેમ્બર દરમિયાન અંદાજે 91 કિલોમીટર જેટલા જાહેર માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે. ભદ્રચોક અને લાલ દરવાજા-ભદ્ર વિસ્તારને કાયમી ધોરણે દબાણમુક્ત બનાવવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટી દ્વારા સૂચવાયેલા માર્ગો પર છેલ્લા દોઢ મહિનાથી સઘન કામગીરી કરવામાં આવતા ત્યાં ટ્રાફિક વ્યવસ્થા નોંધપાત્ર રીતે સુધરી છે.
ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઇન ચલણ અને ડિજિટલ પેનલ્ટી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી
વધુમાં ડીવાયએમસી રિદ્ધેશ રાવલે સ્પષ્ટ જણાવ્યું કે, હાઇકોર્ટના નિર્દેશ અનુસાર કોમર્શિયલ એકમો, મોલ, ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે પોતાની પાર્કિંગ જગ્યા હોવા છતાં તેનો ઉપયોગ ન થતો હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી AMC દ્વારા 64 માર્ગો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે 378 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં જેમની પાસે પોતાની પાર્કિંગ જગ્યા હોવા છતાં વાહનોને અંદર પાર્ક કરવા દેવામાં આવતા નથી તેમને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસનું પાલન ન કરનાર એકમો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઇન ચલણ અને ડિજિટલ પેનલ્ટી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.
R&B વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યા છે
પાર્કિંગમાં શિસ્તતા માટે “નો પાર્કિંગ”, “નો વેન્ડિંગ ઝોન” અને વાહન પાર્કિંગ સંબંધિત સાઈનેજ લગાવવામાં આવ્યા છે. ફ્રી અને પેઇડ પાર્કિંગ અંગે AMC દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આગામી સમયમાં અંદાજે 38,000 ટુ-વ્હીલર અને 21,000 ફોર-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનો AMCનો આયોજન છે. ઉત્તર, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં બે ખાનગી એજન્સીઓ દ્વારા સર્વે પૂર્ણ કરી પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેના આધારે પસંદ કરાયેલા પાંચ માર્ગો પર પ્રથમ તબક્કામાં અમલીકરણ કરવામાં આવશે. પૂર્વ ઝોનમાં AMC અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત મુલાકાત બાદ વટવા, પુનિતનગર અને મણિનગર રેલવે ક્રોસિંગ પર વધતા ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખી રેલવે ઓવરબ્રિજના નિર્માણની યોજના આગળ વધારવામાં આવશે.
2023માં અમલમાં આવેલી પાર્કિંગ પોલિસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો
NHAI, રેલવે, AMC, ટ્રાફિક પોલીસ અને R&B વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યા છે, જેના આધારે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉપાયો અમલમાં મૂકવામાં આવશે. વધુમાં ડીવાયએમસી રિદ્ધેશ રાવલે જણાવ્યું કે, અમદાવાદ માટે વર્ષ 2023માં અમલમાં આવેલી પાર્કિંગ પોલિસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. મેટ્રો, BRTS અને AMTS જેવી સુવિધાઓનું મજબૂત માળખું શહેરમાં ઉપલબ્ધ છે. દરેક મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની જગ્યા અંગે AMC, મેટ્રો અને જાહેર પરિવહન સંસ્થાઓની સંયુક્ત ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ સિવિલ હોસ્પિટલે સ્કીન બેંક દ્વારા 29મું ત્વચાદાન મેળવી દાઝેલા દર્દીઓ માટે સેવાનું નવું સોપાન સર કર્યું