અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગામમાં છેલ્લા પાંચ વર્ષથી પાણીની અછત હોવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહિલાઓએ આરોપ લગાવ્યો કે ગામમાં પાણીની ટાંકી તૈયાર હોવા છતાં આજદિન સુધી એક ટીપું પાણી પણ સપ્લાય કરવામાં આવ્યું નથી. પાણીની સમસ્યાના કારણે ગ્રામજનો સાથે પશુઓ પણ તરસ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે.

મહિલાઓ મામલતદાર કચેરીએ પહોંચી

પાણી પ્રશ્ને રોષે ભરાયેલી મહિલાઓ ભર બપોરે બાવળા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચી હતી. મહિલાઓએ ઓફિસ બહાર અને અંદર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન મામલતદાર અને ટીડીઓને આવેદન પાઠવી તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. મહિલાઓએ જણાવ્યું કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

તલાટી સામે પણ બેદરકારીના આક્ષેપ

ગ્રામજનોએ સ્થાનિક તલાટી સામે પણ બેદરકારીના આક્ષેપ કર્યા હતા. લોકોનું કહેવું છે કે પાણી સહિતની સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. ગામમાં પીવાના પાણીની કટોકટી દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે, જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો