અમદાવાદના બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવનું રૂ.10 કરોડથી વધુના ખર્ચથી રીડેવલપમેન્ટ કરવામાં આવ્યા પછી વસ્ત્રાપુરમાં માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ થઈ હિમાલયા મોલ સુધીના ટી.પી. રોડને અંદાજિત ભાવથી 18.69 ટકા વધુ ભાવથી એટલે કે રૂ.42.32 કરોડના ખર્ચથી પ્રીસન્ટ એરિયા (વિશિષ્ટ એરિયા) તરીકે ડેવલપ કરવા મંજૂરી માગતી દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મુકવામાં આવી છે. બોડકદેવ વોર્ડમાં આવેલા માનસી સર્કલથી વસ્ત્ર્રાપુર તળાવ, શહીદ ચોક થઈ સંજીવની હોસ્પિટલ અને હિમાલયા મોલ સુધીના રસ્તાને પ્રીસન્ટ એરિયા તરીકે ડેવલપ કરવા વર્ષ 2024-25ના એસ.ઓ.આર. મુજબ બનાવવામાં આવેલું ટેન્ડર ત્રીજી વખત મંગાવાતા ટેકનિકલ ઈવેલ્યુએશન પછી કોન્ટ્રાક્ટર દેવર્ષ કન્સ્ટ્રક્શન કો.નું ટેન્ડર ક્વોલિફાય થયેલું છે.AMC દ્વારા થોડા સમય પહેલાં શહેરની ટ્રાફ્કિ વ્યવસ્થા સુધારવા અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે રૂપિયા 865 કરોડના ખર્ચથી 33.8 કિલોમીટર લાંબા વિસ્તારમાં પ્રીસન્ટ એરિયા ડેવલપમેન્ટના કાર્યો કરવા માટે મંજૂરી અપાઈ હતી. જે અંતર્ગત 1 ઓગસ્ટના રોજ મળનારી રોડ કમિટીની બેઠકમાં માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ થઈ હિમાલયા મોલ સુધીના રોડને પ્રીસન્ટ એરિયા તરીકે ડેવલપ કરવા મંજૂરી મંગાઈ છે. જ્યારે એક અન્ય દરખાસ્ત મુજબ, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ અંતર્ગત અને સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રૂ.72.78 કરોડના કોન્ટ્રાક્ટર એપેક્ષ પ્રોટેક એલએલપીના ટેન્ડરને મંજૂરી અપાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો