તાજેતરમાં પડેલા વરસાદને કારણે શહેરના ઐતિહાસિક કોટ વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ સાંકડા અને વ્યસ્ત રસ્તાઓ પર પડેલા અસંખ્ય ખાડાઓ અને કાદવને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે.

મહત્વનું છે કે મુખ્ય રસ્તાઓથી લઈને નાની ગલીઓ સુધીની સ્થિતિ અત્યંત દયનીય છે. રસ્તાઓ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે જેથી દ્વિચક્રી વાહનો ખાસ કરીને લપસી પડવાની ઘટનાઓ વધી છે. ઓટો રિક્ષાઓ અને અન્ય વાહનો પણ આ રસ્તાઓ પર ચલાવવા મુશ્કેલ બની ગયા છે. વરસાદી પાણી અને વાહનોની અવરજવરને કારણે રસ્તાઓ પર કેટલાક સ્થળે તો કાદવનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે, જેનાથી રાહદારીઓને ચાલવામાં ભારે તકલીફ્ પડી રહી છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે દર વર્ષે વરસાદ બાદ રસ્તાઓની આવી જ સ્થિતિ થાય છે, પરંતુ તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. માત્ર કામચલાઉ સમારકામ કરીને સંતોષ માનવામાં આવે છે, જે થોડા જ સમયમાં ફરીથી બિસ્માર થઈ જાય છે. લોકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓનું ટકાઉ અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે જેથી તેમને મુશ્કેલીમાંથી મુક્તિ મળે.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, રસ્તાઓના સમારકામ માટેની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવશે.