અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે સગીર બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગને કારણે મોત થયા હોવાની આશંકા સેવાતી હતી, પરંતુ હવે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ મોતનું કારણ ફૂડ પોઈઝનિંગ નથી. આ સાથે જ મામલો હવે સામુહિક આપઘાત કે હત્યા તરફ ફંટાયો હોય તેમ જણાય છે, જેની તપાસ હવે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે સંભાળી લીધી છે.
બાળકીઓના દાદા અને દાદીની પૂછપરછ
ક્રાઇમબ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરતા બાળકીઓના દાદા અને દાદીની પૂછપરછ હાથ ધરી છે. તપાસ દરમિયાન એક મહત્વની કડી એ મળી છે કે મૃતક બાળકીઓના નાના મેડિકલ સ્ટોર ધરાવે છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું કોઈ નશીલી કે ઝેરી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજ કબજે કરી ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
