અમદાવાદના જમાલપુર વોર્ડમાં ગંદા અને કાળા પાણીની ગંભીર સમસ્યાએ હવે જાહેર આરોગ્ય માટે ભયજનક સ્વરૂપ ધારણ કર્યું છે. મિરઝાપુરથી રાયખડ સુધી ગંદા-કાળા પાણીની સપ્લાયથી લોકો બીમાર, ઝાડા-ઉલટીના કેસોમાં વધારો કર્યો છે. કરોડોના ટેન્ડર અને લાખોની ચુકવણી છતાં જમીન પર શૂન્ય કામના આક્ષેપ કરાયો છે. પાણી લાઈન અને ડ્રેનેજમાં ભ્રષ્ટાચારની શંકા હવે રોગચાળા વકરવાની દહેશત છે.

સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી મ્યુનિસિપલ કમિશનરથી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,એડિશનલ સિટી ઈજનેર,ડેપ્યુટી સિટી ઈજનેર અને મધ્ય ઝોનના અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જમાલપુરના નાગરિકોને રોગચાળામાં ધકેલવાની સોપારી લેવામાં આવી છે? એવો સવાલ હવે લોકો ખુલ્લેઆમ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ ઝાડા-ઉલટીના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે અને અનેક લોકો સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા મજબૂર બન્યા છે. બીજી તરફ્, 20થી 23 સફઈ મંડળીઓમાંથી માત્ર 8 જ કાર્યરત હોવાના આક્ષેપો તંત્રની બેદરકારીને વધુ ઉજાગર કરે છે. 70 વર્ષ જૂની પાણીની લાઈનો બદલાઈ નથી. ડ્રેનેજ લાઈનો જર્જરિત હાલતમાં છે. ચેમ્બર અને મશીન હોલ તૂટી પડવાની કગાર પર છે. છતાં કરોડોના ટેન્ડર અને કામોમાં લાખોની ચુકવણી થયા હોવાના આક્ષેપો વચ્ચે જમીન પર કામ ન દેખાતાં ભ્રષ્ટાચારની શંકા વધુ ગાઢ બની છે.

જો તાત્કાલિક વિજિલન્સ તપાસ,જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને પાણી-ડ્રેનેજ વ્યવસ્થામાં યુદ્ધસ્તરે સુધારો નહીં કરવામાં આવે,તો જમાલપુરમાં ફટી નીકળનારા સંભવિત રોગચાળાની સંપૂર્ણ જવાબદારી AMC તંત્રની જ ગણાશે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં એમાં પણ ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં રોજ ગટર અને પીવાનું પાણી મીક્ષ થયાના અનેક બનાવો સામે આવે છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી પૂર્વ વિસ્તારના લોકોએ ગંદુ પાણી પીવા મજબુર થવું પડી રહ્યું છે. આ વિસ્તારની સમસ્યા AMC માટે જાણે કે નહીવત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો