ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ પર 141.27 કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઘટના સ્થળનું પંચનામામાં હાજર રહેનારની જુબાની અને ઉલટ તપાસ હાથ ધરાઈ હતી. ત્યારબાદ કોર્ટે આગામી મુદતે વધુ એક સાક્ષીની જુબાની માટે મુદત રાખી છે. અત્યાર સુધી કુલ 33 જેટલા સાક્ષીઓની જુબાની અને ઉલટ તપાસ પૂર્ણ થઈ છે. અત્યાર સુધીમાં નજરે જોનાર સાક્ષીઓ, તથ્ય પટેલ સાથે કારમાં હાજર લોકો સહિત મહત્વના સાક્ષીઓની જુબાની પૂરી થઈ છે. જોકે, તથ્ય પટેલે અકસ્માત કર્યો ત્યારે તેની સાથે હાજર ચાર જણા સ્પીડ લિમિટ મામલે હોસ્ટાઇલ થઈ ગયા છે. ઈજાગ્રસ્તોની સારવાર કરનાર ડોક્ટરોની જુબાની અને ઉલટ તપાસ પૂરી થયા બાદ ઘટના સ્થળનું પંચનામાની જુબાનીઓ હાથ ધરવામાં આવી છે. ઇસ્કોન બ્રિજ પર ગત 20મી જુલાઈ 2023ની રાત્રે 141.27 કિલોમીટરથી વધુની સ્પીડે બેફામ રીતે જેગુઆર ગાડી તથ્ય પ્રજ્ઞેશ પટેલે હંકારીને નવ નિર્દોષોને કચડી નાખીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અકસ્માતમાં 13થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ટ્રાફ્કિ પોલીસે આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો અને મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ 1,684 પાનાની ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. જેમાં કુલ 191 સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે 18મી નવેમ્બરના રોજ તહોમતનામું ઘડવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધી કુલ 33 જેટલાસાક્ષીઓની જુબાની અને ઉલટ તપાસ પૂર્ણ થઈ છે.ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલ દ્વારા સાપરાધ મનુષ્યવધની કલમ દૂર કરીને ચાર્જફ્રેમ કરવા માટે નીચલી કોર્ટમાં અરજી કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે અરજી ફ્ગાવીને ચાર્જફ્રેમ કરવા હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તથ્ય પટેલના જામીન મંજૂર કરતી વખતે નોંધ્યું હતું કે, આરોપી છેલ્લા આશરે 2 વર્ષ અને 10 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યો હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ હજુ કુલ 138 સાક્ષીઓની તપાસ કરવાની બાકી છે.
