અમદાવાદના નારોલ વિસ્તારમાં ગત 1 માર્ચના રોજ એક પાલતુ શ્વાને (Pet Dog) સ્થાનિક વ્યક્તિને કરડતા ભારે વિવાદ સર્જાયો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર પક્ષ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના CNCD (Cattle Nuisance Control Department) વિભાગે સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જે પાલતુ શ્વાને હુમલો કર્યો હતો તેની સત્તાવાર નોંધણી કરવામાં આવી નહોતી.
સ્થળ તપાસ અને ફરિયાદ બાદ AMCની કાર્યવાહી
સુરક્ષાના કારણોસર અને વધુ તપાસ માટે CNCD વિભાગે તે પાલતુ શ્વાનને કબજે કરી શેલ્ટર હોમમાં ખસેડી દીધો છે. શ્વાનનું રજિસ્ટ્રેશન ન હોવાથી તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી શ્વાન માલિક પાસેથી રૂ.2000ની ફી વસૂલી હતી અને સ્થળ પર જ તેની ફરજિયાત નોંધણી કરાવી હતી. રહેણાંક વિસ્તારોમાં પાલતુ પ્રાણીઓ રાખતા લોકોએ પાલિકાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અને અન્યની સુરક્ષાનું ધ્યાન રાખવું તે બાબતે તંત્રએ કડક સૂચના આપી છે.













