અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર લેકનું 10 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે અને 7 ડિસેમ્બરે તેનું ભવ્ય લોકાર્પણ થવાનું છે. જોકે, આ ભવ્યતાના દાવાઓ વચ્ચે તળાવમાં ગંદકીની ગંભીર ઘટના સામે આવી છે. તળાવના નવીનીકરણના લોકાર્પણ પહેલા જ તેમાં અશુદ્ધ અને ગંદુ પાણી છોડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
10 કરોડનો ખર્ચ પાણીમાં
સ્થાનિકોના દાવા મુજબ, આ ગંદુ પાણી સ્ટ્રોમ વોટર લાઈન અને STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માંથી તળાવમાં છોડાયું છે. STP પ્લાન્ટમાંથી આવતા આ પાણીમાં તીવ્ર દુર્ગંધ આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે લેક પરિસરની આસપાસનું વાતાવરણ પ્રદૂષિત બન્યું છે. અશુદ્ધ પાણીની સાથે તળાવમાં કચરાનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે, જે તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે. 10 કરોડના ખર્ચે થયેલા કામમાં આવી બેદરકારીના કારણે લોકાર્પણ પહેલા જ વસ્ત્રાપુર લેક વિવાદમાં સપડાયું છે.













