કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના એસ.જી. હાઈવે ના આધુનિકરણ અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટેની એક અત્યંત મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક સંપન્ન થઈ છે. આ બેઠકમાં એસ.જી. હાઈવે પર દિનપ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા અને શહેરમાં ક્રાઈમ રેટને કાબૂમાં લેવા અંગે ગહન ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને ટ્રાફિક સ્મુથનિંગ કરવા અને પ્રજાને હાલાકી ન પડે તે રીતે આયોજન કરવા કડક આદેશ આપ્યા છે.

બ્રિજના કામો અને ડાઈવર્ઝન મુદ્દે NHAIને કડક ટકોર

એસ.જી. હાઈવે પર વાહનોની સ્પીડ વધારવા અને ટ્રાફિકજામમાંથી મુક્તિ અપાવવા માટે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની ગૃહમંત્રીએ વ્યક્તિગત સમીક્ષા કરી હતી. તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપતાં જણાવ્યું કે, હાઈવે પર નિર્માણાધીન બ્રિજની આસપાસ જે ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે, ત્યાં વાહનચાલકોની સુરક્ષા માટે વિશેષ તકેદારી રાખવામાં આવે. ખાસ કરીને હાઈવેના મુખ્ય જંકશનો ઉપર પીક-અવર્સ જામની સ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કરવા જણાવાયું છે.

અમદાવાદ CPએ કર્યું ક્રાઈમ રેટનું પ્રેઝન્ટેશન

આ બેઠકમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. તેમણે ગૃહમંત્રી સમક્ષ અમદાવાદના વર્તમાન ક્રાઈમ રેટ અને ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા લેવાયેલા પગલાંનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અમિત શાહે આ પ્રેઝન્ટેશનની બારીકાઈથી સમીક્ષા કર્યા બાદ શહેરમાં ક્રાઈમ રેટ પર સંપૂર્ણ કાબૂ મેળવવા અને ગુનેગારોમાં પોલીસનો ખોફ કાયમ રાખવા માટે કમિશનરને ખાસ ટકોર કરી હતી. ગૃહમંત્રીની આ મેગા સમીક્ષા બેઠક બાદ આગામી દિવસોમાં એસ.જી. હાઈવેના ટ્રાફિક સંચાલન અને શહેરની સુરક્ષા વ્યવસ્થામાં મોટા સકારાત્મક બદલાવ જોવા મળશે.


આ પણ વાંચો----    Dhar Bhojshalaમાં ઈતિહાસ રચાયો, પોલીસ બંદોબસ્ત વચ્ચે હિંદુઓએ કરી પૂજા