ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવાના હેતુથી નવા આર્બિટ્રેશન સેન્ટરના ભવનનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સહિત રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આર્બિટ્રેશન સેન્ટરના ભવનનું ભવ્ય ખાતમુહૂર્ત
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંતના વરદ હસ્તે આ આર્બિટ્રેશન સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ તેમજ અન્ય ન્યાયમૂર્તિઓ ખાસ હાજર રહ્યા હતા. ન્યાયિક માળખાને આધુનિક બનાવવાના આ પ્રયાસને સૌએ બિરદાવ્યો હતો.
કોન્ફરન્સ અને ડિજિટલ વિમોચન
ખાતમુહૂર્તની સાથે જ ગુજરાત હાઈકોર્ટ ખાતે "સંસ્થાકીય આર્બિટ્રેશનના પડકારો અને ભાવિ દિશા" વિષય પર બે દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે આર્બિટ્રેશન સેન્ટરની નવી વેબસાઈટ અને ન્યૂઝલેટરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જે પક્ષકારોને આધુનિક ટેકનોલોજી દ્વારા ન્યાયિક માર્ગદર્શન પૂરું પાડશે.
ઝડપી ન્યાયનો નવો માર્ગ
આ સેન્ટર કાર્યરત થવાથી રાજ્યના કાયદાકીય ક્ષેત્રમાં મોટા ફેરફારો આવશે,સિવિલ અને કોમર્શિયલ વિવાદોનું હવે કોર્ટની બહાર ઝડપી અને કાયદેસર રીતે સમાધાન લાવી શકાશે. વર્ષો સુધી ચાલતી કાનૂની પ્રક્રિયામાંથી છુટકારો મળશે, જેનાથી વકીલો અને પક્ષકારો બંનેનો સમય બચશે. આર્બિટ્રેશન પ્રક્રિયા વધુ વ્યવસ્થિત અને પારદર્શક બનશે, જે વેપાર-ઉદ્યોગ જગત માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પણ વાંચો: Dakor: જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડાકોર માર્ગ પર ભક્તોનું ઘોડાપૂર, ફાગણી પૂનમના મેળાનો ભવ્ય પ્રારંભ