અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બલોલનગર બ્રિજ પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતે નીચે ખાબકવાના કારણે નાગરિકોના મોતના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા હતા. જેને પગલે આ બ્રિજ સ્થાનિકોમાં 'મોતનો બ્રિજ' તરીકે ઓળખાવા લાગ્યો હતો. જો કે, ટ્રાફિક પોલીસની ગંભીર ચેતવણી અને રજૂઆત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) તાત્કાલિક ધોરણે આ બ્રિજ પર મજબૂત સેફ્ટી ગ્રિલ (સુરક્ષા જાળી) લગાવી દીધી છે.

મે મહિનાની બે ઘટનાઓ બાદ જાગ્યું તંત્ર

મળતી માહિતી મુજબ, ચાલુ મે મહિનામાં જ આ બ્રિજ પરથી નીચે પટકાવવાના કારણે બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ ગુરુવારે મોડી રાત્રે એક આધેડ વયના વ્યક્તિ બ્રિજ પરથી કોઈ કારણસર નીચે રોડ પર ખાબક્યા હતા, જેમાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અગાઉ પણ આવી જ એક દુર્ઘટના ઘટી હતી.

ટ્રાફિક પોલીસે કરી હતી લેખિત રજૂઆત

એક જ મહિનામાં બે-બે જીવલેણ અકસ્માતો સર્જાતા ટ્રાફિક પોલીસ વિભાગે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી હતી. બ્રિજની ઓછી ઊંચાઈ ધરાવતી દીવાલોના કારણે લોકો નીચે ખાબકતા હોવાનું વિશ્લેષણ કરીને ટ્રાફિક પોલીસે તાત્કાલિક સેફ્ટી ગ્રિલ લગાવવા માટે AMCના એન્જિનિયરિંગ વિભાગને લેખિતમાં જાણ કરી હતી. પોલીસની આ તાકીદના પગલે કોર્પોરેશને મંજૂરી આપીને રાતોરાત બ્રિજ પર પ્રોટેક્શન ગ્રિલ ઇન્સ્ટોલ કરવાનું કામ પૂરું કર્યું છે, જેથી ભવિષ્યમાં આવી નિર્દોષ જિંદગીઓ હોમાતી અટકાવી શકાય. તંત્રની આ ત્વરિત કામગીરીથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: Banaskantha: રસાણા હાઇવે પર પંપ માલિકની લૂંટનો ભેદ ઉકેલાયો, 4 શખ્સો જેલના સળિયા પાછળ