અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બલોલનગર બ્રિજ પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતે નીચે ખાબકવાના કારણે નાગરિકોના મોતના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા હતા. જેને પગલે આ બ્રિજ સ્થાનિકોમાં 'મોતનો બ્રિજ' તરીકે ઓળખાવા લાગ્યો હતો. જો કે, ટ્રાફિક પોલીસની ગંભીર ચેતવણી અને રજૂઆત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) તાત્કાલિક ધોરણે આ બ્રિજ પર મજબૂત સેફ્ટી ગ્રિલ (સુરક્ષા જાળી) લગાવી દીધી છે.
મે મહિનાની બે ઘટનાઓ બાદ જાગ્યું તંત્ર
મળતી માહિતી મુજબ, ચાલુ મે મહિનામાં જ આ બ્રિજ પરથી નીચે પટકાવવાના કારણે બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ ગુરુવારે મોડી રાત્રે એક આધેડ વયના વ્યક્તિ બ્રિજ પરથી કોઈ કારણસર નીચે રોડ પર ખાબક્યા હતા, જેમાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અગાઉ પણ આવી જ એક દુર્ઘટના ઘટી હતી.
