શહેરના અસારવા વિસ્તારમાં મોડી રાત્રે નજીવા કારણસર બે પક્ષો વચ્ચે છૂટા હાથે પથ્થરમારો અને હિંસક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નાળિયેરના ભાવને લઈને શરૂ થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.


અસારવામાં નાળિયેરના ભાવ મુદ્દે હિંસક અથડામણ

મળતી માહિતી મુજબ, અસારવા વિસ્તારમાં નાળિયેરના વેપારીઓ વચ્ચે ભાવતાલ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષોના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન એક મહિલા પર પણ હુમલો કરવામાં આવતા સ્થિતિ વધુ સ્ફોટક બની હતી. હુમલાખોરોએ માત્ર પથ્થરો જ નહીં, પરંતુ તીક્ષ્ણ હથિયારો વડે પણ હુમલો કર્યો હતો અને ફરિયાદીની નાળિયેરની લારીમાં ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.

સગીર સહિત કુલ ત્રણ લોકોને ઈજાઓ

આ હિંસક અથડામણમાં એક વિદ્યાર્થીની અને એક સગીર સહિત કુલ ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે. પથ્થરમારાને કારણે ઘવાયેલા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ શાહીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને હુમલો કરનાર 4 મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં ફરી શાંતિ જળવાય રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Deesa: બટાકાની આડમાં છુપાવેલો 1.09 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો


  • Follow us on: