અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક્ટિવા પાર્ક કરવા જેવી નજીવી બાબતે અસામાજિક તત્વોએ એક વેપારી પર હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાર્થ પટેલ નામના સ્થાનિક વેપારી જ્યારે પોતાના કામકાજમાં વ્યસ્ત હતા, ત્યારે વાહન ઊભું રાખવાની બાબતે કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીઓ જાહેરમાં અપશબ્દો બોલી રહ્યા હોવાથી વેપારીએ તેમને ગાળો ન બોલવા માટે ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ઠપકો આપતા જ મામલો બિચક્યો હતો અને માથાભારે શખ્સોએ વેપારી પર તૂટી પડીને માર માર્યો હતો.

રમેશ અને મેહુલ દેસાઈ સામે પોલીસ ફરિયાદ

આ હુમલાની સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અસામાજિક તત્વો વેપારી સાથે મારામારી કરી રહ્યા છે. આ મામલે ભોગ બનનાર વેપારી પાર્થ પટેલે રમેશ દેસાઈ અને મેહુલ દેસાઈ નામના બે શખ્સો વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી અને ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે આ તત્વો અવારનવાર વિસ્તારમાં આતંક મચાવતા હોય છે, જેના કારણે હવે વેપારીઓમાં ભારે રોષ અને ભયની લાગણી જોવા મળી રહી છે.

પોલીસે CCTVના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા

વેપારીની ફરિયાદ અને ઘટનાના પુરાવા સમાન CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સોલા પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જાહેર શાંતિ ડહોળનારા અને વેપારીઓને ડરાવનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ ઘટનાને પગલે ચાંદલોડિયાના વેપારી મંડળોએ પણ એકઠા થઈને પોલીસ પાસે રક્ષણની અને અસામાજિક તત્વો સામે કડક પગલાંની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો