વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સાધના અને સુશાસનનાં 25 વર્ષ નિમિત્તે યોજાઈ રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. તેમણે કેદીઓ સાથે સહજ સંવાદ કરી વાતાવરણ હળવું બનાવ્યું હતું. કેદીઓ દ્વારા રજૂ કરાયેલા 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' ભજનનું મુખ્યમંત્રીએ શ્રાવણ કર્યું હતું અને ભજનના મૂલ્યોને જીવનમાં ઉતારી સાચા અર્થમાં વૈષ્ણવજન બનવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નાની ભૂલનું પરિણામ વ્યક્તિ ઉપરાંત સમગ્ર પરિવારને ભોગવવું પડી શકે છે, તેથી સૌએ સંયમના માર્ગે ચાલવું જોઈએ. તેમણે કેદીઓને 'સેવા સંકલ્પ અભિયાન'માં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. મુખ્યમંત્રીએ કોમ્પ્યુટર, સુથારીકામ, વણાટકામ અને બુક બાઇન્ડિંગ કેન્દ્રોની મુલાકાત લઈ કેદીઓ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી, અબ્બાસ તૈયબજી, રવિશંકર મહારાજ અને રસિકલાલ પરીખ જેવા મહાનુભાવોએ સાબરમતી મધ્યસ્થ જેલના જે ઓરડાઓમાં નિવાસ કર્યો હતો, તેની મુલાકાત પણ લીધી હતી.
