અમદાવાદ

અમદાવાદના હૃદય સમાન ગીતામંદિર વિસ્તારમાં એસ.ટી. નિગમ દ્વારા કરોડોના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલા નવા બસ ટર્મિનલ-2 નું હજુ માંડ 15 દિવસ પહેલાં જ ધામધૂમથી ઉઘ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેતાઓ અને અધિકારીઓએ આ ટર્મિનલને એરપોર્ટ જેવી સુવિધાઓ વાળું ગણાવીને પીઠ થાબડી હતી. પરંતુ, વાસ્તવિકતા કાંઈક ઓર જ છે, જે મુસાફરો માટે હાલાકીનું કારણ બની છે.

મહત્વનું છે કે સૌથી ગંભીર હાલત ટર્મિનલના એક્ઝિટ બહાર નીકળવાના દ્વાર પાસે જોવા મળી. જ્યાંથી સેંકડો બસો અને હજારો મુસાફરો પસાર થાય છે, ત્યાં રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે. 15 જ દિવસમાં પાકો રસ્તો જાણે ગાયબ થઈ ગયો છે અને તેની જગ્યાએ કપચી અને માટીના ઢગલા જોવા મળી રહ્યા છે.

આ સવાલ હવે દરેક મુસાફરના મનમાં ઉઠી રહ્યો છે. શું કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં માત્ર 15 દિવસ સુધી ટકી શકે તેવો રસ્તો જ બનાવવામાં આવ્યો હતો? કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ચોમાસું હજુ પૂરું પણ નથી થયું અને રસ્તો બેસી ગયો છે, જે કોન્ટ્રાક્ટર અને મોનિટરિંગ કરતા અધિકારીઓની મિલીભગત તરફ્ ઈશારો કરે છે. આ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા નકારી શકાય નહીં.

મુસાફરોનું કહેવું છે કે એક્ઝિટ દ્વાર પરના આ ખાડાઓ અને ઉડતી ધૂળને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સામાન સાથે ચાલતા મુસાફરો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે અકસ્માતનો ભય રહે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો