અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડની ગફુરજીની ગલીમાં એક ઘરના વાસ્તુ (નવા ઘર)ના પ્રસંગે આયોજિત જમણવાર બાદ સામૂહિક ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. આ જમણવારમાં ભાગ લેનાર 34થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગના લક્ષણો દેખાતા દોડધામ મચી ગઈ હતી.

 જમાલપુરમાં ફૂડ પોઇઝનિંગ

એએમસીના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ આપેલી માહિતી મુજબ, આ પ્રસંગે 50થી 100 માણસોનો જમણવાર યોજાયો હતો. જમણવારમાં રોટી, ભાત, નોનવેજ અને ખાસ કરીને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. મોડી રાત્રે જમણવાર લીધા બાદ લોકોને ઉલટી, ઝાડા અને વોમીટીંગ થવા લાગ્યા હતા, જેના કારણે તેમને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા મોટાભાગના લોકોને સારવાર માટે જમાલપુરની ચેપી રોગ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, મોટાભાગના લોકોને ઓપીડીમાં સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી, જોકે એક વ્યક્તિને હાલ હોસ્પિટલમાં એડમિટ રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

AMCના ફૂડ વિભાગે સેમ્પલ લઇ તપાસ હાથ ધરી

શરૂઆતી તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ગાજરનો હલવો ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હોઈ શકે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એએમસીના ફૂડ વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. ફૂડ વિભાગ દ્વારા જમણવારમાં પીરસાયેલા ગાજરના હલવાનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને સાથે જ જે જગ્યાએથી આ હલવો બનાવવા માટે માવો (ખોયા) લાવવામાં આવ્યો હતો, ત્યાંથી પણ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ જાણી શકાશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ