ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્યમાં એકતરફ સૂર્યનારાયણનો પ્રકોપ યથાવત છે, ત્યારે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 22 મે થી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે.
ગરમીનો પારો 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેશે
આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પારો 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેતા લોકો અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠશે.
બે દિવસ વરસાદી માહોલ જામશે
જોકે, આ આકરી ગરમી વચ્ચે જ આગામી બે દિવસ વરસાદી માહોલ જામશે. ખાસ કરીને 23 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીના જીલ્લાઓમાં વરસાદની આગાહી
આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીના જીલ્લાઓમાં પણ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ સાથે જ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ પ્રિ-મોન્સૂન પવનો ફૂંકાવાને કારણે વરસાદી માહોલ સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને પગલે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે, જેથી ગુજરાતીઓને ચામડી દઝાડતી ગરમીમાંથી મોટી રાહત મળવાના સંકેતો દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો---- Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે