ગુજરાતમાં હાલ ઉનાળો તેના અંતિમ ચરણમાં આકરૂં સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર અને કેટલાક સેન્ટરોમાં 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જાય તેવી કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગે એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં આજે માવઠું થવાની સંભાવના છે.
આ જિલ્લાઓમાં વરસાદી માવઠાની આશંકા
હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને જામનગર જીલ્લામાં પવન સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જીલ્લામાં પણ મેઘમહેર થવાના એંધાણ છે. કેન્દ્રશાસિત પ્રદેશ એવા દીવ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદી ઝાપટાં પડી શકે છે. આ આગાહીના પગલે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.
