રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડીમાંથી હવે નાગરિકોને આંશિક રાહત મળે તેવા સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે, જેના કારણે ઠંડીનું જોર ઘટશે.


તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, તાપમાન વધવા છતાં આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં 'બેવડી ઋતુ' એટલે કે મિશ્ર હવામાનનો અનુભવ થશે. દિવસે ગરમી અને વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો અહેસાસ નાગરિકોને પરેશાન કરી શકે છે.

માછીમારો માટે રેડ એલર્ટ, દરિયો ન ખેડવા સૂચના

એક તરફ ઠંડીથી રાહત મળી રહી છે, તો બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરી છે. દરિયામાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. હવામાનમાં આવી રહેલા આ પલટાને કારણે સ્વાસ્થ્ય બાબતે પણ કાળજી રાખવી જરૂરી છે, કારણ કે તાપમાનના ઉતાર-ચઢાવથી શરદી-ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી શકે છે.


આ પણ વાંચો - Uttar Pradesh પર કુદરતનો કહેર, વરસાદ-બરફવર્ષા અને કરાથી જનજીવન અસ્તવ્યસ્ત


  • Follow us on: