ભારતનું એવિએશન (ઉડ્ડયન) ક્ષેત્ર હાલમાં ઝડપી વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. એરલાઈન્સ દ્વારા ૧,૦૦૦થી વધુ નવા વિમાનોના ઓર્ડર તેમજ કેન્દ્ર સરકારની 'ઉડાન' (UDAN) યોજના હેઠળ દેશભરમાં ૨૦૦થી વધુ એરપોર્ટ્સના વિકાસને કારણે ઉડ્ડયન ક્ષેત્રમાં કુશળ માનવબળની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે. નિષ્ણાતોના અંદાજ મુજબ વર્ષ ૨૦૨૮ સુધીમાં આ ક્ષેત્રમાં અંદાજે ૧.૫ લાખથી વધુ નવી રોજગારીની તકો ઊભી થઈ શકે છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રમાં પણ એવિએશન સંબંધિત અભ્યાસક્રમો પ્રત્યે વિદ્યાર્થીઓનો રસ વધ્યો છે.


એવિએશન ઉદ્યોગની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓ હવે પરંપરાગત અભ્યાસક્રમોની સાથે ઉદ્યોગલક્ષી અને કૌશલ્ય આધારિત કોર્સ શરૂ કરી રહી છે. અગાઉ એવિએશન ક્ષેત્ર મુખ્યત્વે સાયન્સના વિદ્યાર્થીઓ માટે મર્યાદિત માનવામાં આવતું હતું. હવે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ એવિએશન મેનેજમેન્ટ, એરપોર્ટ ઓપરેશન્સ અને હોસ્પિટાલિટી જેવા વિશેષ અભ્યાસક્રમો ઉપલબ્ધ બન્યા છે. હાલમાં પુસ્તકીય જ્ઞાન ઉપરાંત મોક કેબિન, કમ્યુનિકેશન સ્કિલ્સ, ગ્રાહક સેવા, ઇન્ટરવ્યૂ તૈયારી અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) જેવી આધુનિક ટેક્નોલોજી દ્વારા પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે.

પાયલોટ ટ્રેનિંગમાં ધોરણ ૧૨ પછી (ફિઝિક્સ અને ગણિત સાથે)DGCA માન્ય ફલાઈંગ એકેડેમીમાં ગ્રાઉન્ડ ટ્રેનિંગ અને ફ્લાઈંગ તાલીમ પૂર્ણ કરીને કોમર્શિયલ પાયલોટ લાઈસન્સ (CPL) મેળવી શકાય છે. તેમજ એવિએશન અને કેબિન કરૂ ડિપ્લોમા માટે ધોરણ ૧૨ પછી એવિએશન, એરપોર્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી અથવા કેબિન કરૂ ટ્રેનિંગ જેવા ૬થી ૧૨ મહિનાના ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ છે. અમદાવાદ, વડોદરા અને વાપી સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આવી તાલીમ આપતી સંસ્થાઓ કાર્યરત છે. જ્યારે ડિગ્રી કોર્સમાં અનેક ખાનગી યુનિવર્સિટીઓ BBA ઇન એવિએશન મેનેજમેન્ટ સહિતના ત્રણ વર્ષના ડિગ્રી કોર્સ ઓફર કરી રહી છે, જે વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ અને એરપોર્ટ ઓપરેશન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં મદદરૂપ બને છે.એવિએશન ક્ષેત્રમાં શરૂઆતનો માસિક પગાર હોદ્દા અને લાયકાત મુજબ અંદાજે રૂ. ૨૦,૦૦૦થી રૂ. ૧.૫ લાખ સુધી હોઈ શકે છે. યોગ્ય તાલીમ, ભાષાકૌશલ્ય અને વ્યવસાયિક કુશળતા ધરાવતા ઉમેદવારો માટે દેશ ઉપરાંત વિદેશમાં પણ આકર્ષક કારકિર્દીની તકો ઉપલબ્ધ બની રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: