આવતીકાલે તા. 15 જૂને અધિક જેઠ મહિનાની અમાસ અને સોમવારનો દુર્લભ સંયોગ સર્જાતા સમગ્ર ગુજરાતમાં ધાર્મિક માહોલ જામશે. સોમવારે આવતી અમાસને 'સોમવતી અમાસ' કહેવાય છે. આ વર્ષે આ તિથિનું મહત્વ અનેકગણું વધી ગયું છે, કારણ કે તે પુરુષોત્તમ (અધિક) માસ દરમિયાન આવી રહી છે. આ દિવસે કરાયેલા સ્નાન, દાન, જપ, તપ અને પિતૃ તર્પણનું પુણ્ય અનેકગણું ફ્ળ આપે છે. પંચાંગ અનુસાર 15 જૂને અમાસ તિથિ સવારે રહેશે અને આ દિવસે મૃગશીર્ષ નક્ષત્ર તથા શૂલ યોગનો સંયોગ છે. ધાર્મિક માન્યતા મુજબ સોમવતી અમાસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેની ઉપાસના કરવાથી વિશેષ ફ્ળ મળે છે.


અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્ર્રો મુજબ આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. સામાન્ય રીતે અમાસનું મહત્વ પિતૃઓ માટે માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પુરુષોત્તમ માસમાં આવે ત્યારે તેનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ગંગા, ยમુના, નર્મદા, તાપી, સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને પિતૃઓને શાંતિ મળે છે. અનેક તીર્થધામો અને નદીકિનારાઓ પર મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.

ધર્મશાસ્ત્ર્રોમાં અમાસ તિથિને પિતૃઓની તિથિ માનવામાં આવી છે. સોમવતી અમાસે તલ, જળ અને કુશ વડે પિતૃ તર્પણ કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે.

જ્યોતિષાચાર્યો જણાવે છે કે જે લોકો નિયમિત શ્રાદ્ધ કરી શકતા નથી તેઓ માટે સોમવતી અમાસે કરાયેલ તર્પણ પણ વિશેષ ફ્ળદાયી માનવામાં આવે છે. સોમવતી અમાસે પરિણીત મહિલાઓ પીપળાના વૃક્ષની પૂજા કરે છે અને 108 પ્રદક્ષિણા કરે છે. આ વ્રતથી પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને પરિવારનું કલ્યાણ થાય છે એવી લોકમાન્યતા છે.પીપળામાં ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને મહેશનો વાસ માનવામાં આવે છે. તેથી પીપળા પૂજનનું વિશેષ મહત્ત્વ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: