અમદાવાદના વાડજ વિસ્તારમાં સ્ટેટ બેંકના કર્મચારીના ઘરમાં થયેલી સોનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ કેસમાં વાડજ પોલીસે જયદીપ સુરેશભાઈ સોલંકી અને પાયલ મનુભાઈ પરમારની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઘરકામ કરતા યુવકે પોતાની મિત્ર સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓએ ઘરની અંદરની માહિતીનો લાભ લઈ કિંમતી સોનાના દાગીનાની ચોરી કરી હતી.

21 તોલા સોનાના દાગીના સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.3,17,36,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં અંદાજે 21 તોલા સોનાના કિંમતી દાગીનાનો સમાવેશ થાય છે. સોનાની ચેન, વીંટી, બંગડી, બ્રેસલેટ સહિતના દાગીના પોલીસે જપ્ત કર્યા છે. ચોરી બાદ આરોપીઓ મુદ્દામાલ છુપાવી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્ક કામગીરીના કારણે તેઓ ઝડપાઈ ગયા હતા.

ટેક્નિકલ સર્વેલન્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

વાડજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે ચોરીના તમામ મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અગાઉ પણ આવી ચોરીઓ કરી છે કે નહીં તે દિશામાં પૂછપરછ ચાલી રહી છે. ઘટનાના ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો