કેન્દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કર્યાને 10 વર્ષ વીતી ચુક્યા છે. તેમ છતાં પણ ઠેક-ઠેકાણે રૂ.500ની પ્રતિબંધિત નોટો વટાવવાનો કાળા કારોબારનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રામોલ પોલીસે રબારી કોલોની પાસેથી બે શખ્સોને રૂ.39 લાખની 500ના દરની જૂની 7800 ચલણી નોટો સાથે ઝડપી પાડયા છે. જેમાં બંને આરોપી 2 ટકા કમિશન પર મુંબઇથી નોટો લાવિને ગાંધીનગર વટાવવાના હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રબારી કોલોની ચાર રસ્તા પાસેથી રૂ.500 દરની રૂ.39 લાખની નોટો સાથે પોલીસે મુંબઇના ભરતસિંહ મહીડા અને સુરતના મેરાજુદ્દીન જમીલખાનને ઝડપીને પૂછપરછ કરતા જલગાવના વોન્ટેડ આરોપી આયાનુદ્દીન ગ્યાસુદિન પટવે પાસેથી આ નોટોનો જથ્થો મેળવ્યો હતો. અને ગાંધીનગરમાં રહેતા શૈલેશ પટેલને આપવાનો હતો. જે બદલ બંને આરોપીઓને 2 ટકા કમિશન મળવાનું હતુ. જ્યારે બંને આરોપી મુંબઇના કામ કરતા હોવાથી તેઓ આયાનુદ્દીનના સંપર્કમાં આવ્યા હતા. આ અંગે પોલીસે મુંબઇ અને ગાંધીનગરના ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: