અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NRI એપાર્ટમેન્ટમાં થયેલા ફાયરિંગમાં પતિ-પત્નીના મોત મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યા બાદ, ઊંડી તપાસ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે હવે યશ ગોહિલ સામે પત્ની રાજેશ્વરીની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં એ ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદી બન્યા છે.
DCP હર્ષદ પટેલનું મહત્વનું નિવેદન
DCP ઝોન-1 હર્ષદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ઘટનાની ગંભીરતા જોતા ફોરેન્સિક પીએમ (Post-Mortem) કરાવવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે જો અકસ્માતે ગોળી છૂટી હોત, તો તે રાજેશ્વરીબેનના માથામાં વાગે તેવી શક્યતા નહિવત છે. રિવોલ્વરમાં કુલ બે બુલેટ હતા અને બંને ફાયર કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓ સાબિત કરે છે કે યશ ગોહિલે પહેલા પત્ની રાજેશ્વરીની હત્યા કરી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી."










