બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મિહિર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જય ભોલેગ્રુપના દિપેશ પટેલ દ્વારા મંદિર ટ્રસ્ટને દિવ્ય અને ભવ્ય સોનાનો મુગુટ ભેટ ધરવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજી કરોડો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 51 શકિતપીઠ પૈકી હદયસ્થ શક્તિપીઠ તરીકે સુપ્રસિદ્ધ છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા સૂચવ્યા મુજબ માતાજીના શૃંગાર માટે સુવર્ણજડીત મુગુટનો શાસ્ત્રોક્ત અને વેદોક્ત રીતે અભ્યાસ કરવામાં આવેલ. ભારતીય સંસ્કૃતિની ધરોહરયુક્ત ગાથા સમગ્ર વિશ્વમાં આપણને સૌને ગૌરવ પ્રાપ્ત કરાવે છે. વૈદિક શાસ્ત્રોમાં મા જગદંબાના શૃંગારનું અલૌકીક વર્ણન થયેલ છે. આવતી કાલે મા જગદંબાના પ્રાગટયોત્સવની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની પ્રેરણાથી જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા માતાજીનો સુવર્ણ અને રત્નજડીત મુગુટ બનાવવાનો નિર્ધાર કરવામાં આવેલ. લગભગ 3 મહિના જેટલો સમય આ મુગુટ બનાવવામાં થયેલ છે. પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી મીના કારીગરી, રત્નોનો ઉપયોગ કરી મા જગદંબાના આશીર્વાદથી બનેલ આ દિવ્ય અને ભવ્ય મુગુટ ભેટમાં પ્રાપ્ત થતા અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આભાર વ્યક્ત કર્યો હોવાનું મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવેલ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: